બાળ સંરક્ષણ આયોગના અધ્યક્ષ શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જરના અધ્યક્ષસ્થાને તથા બનાસકાંઠા બાળ કલ્યાણ સમિતિ, બાળ સુરક્ષા વિભાગ અને મમતા મંદિરના સંયુક્ત ઉપક્રમે પાલનપુરના સાર્વજનિક છાત્રાલય, ગોબરી રોડ ખાતે “દિવ્યાંગ નવરાત્રી મહોત્સવ”નું ભવ્ય આયોજન કરાયું હતું.
પાલનપુરના ધારાસભ્યશ્રી અનિકેતભાઈ ઠાકર મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ દિવ્યાંગ વિદ્યાર્થીઓ સાથે નૃત્ય, ગરબા અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો આનંદ માણ્યો હતો તથા મહાનુભાવોના હસ્તે દિવ્યાંગ વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા. આ શરદ પૂર્ણિમા નવરાત્રી મહોત્સવમાં વિદ્યાર્થીઓએ પરંપરાગત વેશભૂષા ધારણ કરીને ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
કાર્યક્રમના અધ્યક્ષ શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જરે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, દિવ્યાંગ બાળકો પણ સમાજનો અવિભાજ્ય ભાગ છે. તેઓ પણ તહેવારના આનંદથી વંચિત ન રહે તે માટે આ પ્રકારના કાર્યક્રમો ખૂબ જરૂરી છે. આવા તહેવારો તેમને આત્મવિશ્વાસ આપે છે અને સમાજમાં સમાન સ્થાન પ્રાપ્ત કરાવે છે. તેમણે ઉમેર્યું કે ‘વિકસિત ભારત અભિયાન’ના હેતુઓને સિદ્ધ કરવા માટે દરેક નાગરિકે દિવ્યાંગ વ્યક્તિઓના સશક્તિકરણ માટે પોતાનો ફાળો આપવો જરૂરી છે. સાથે જ તેમણે દિવ્યાંગ બાળકો માટે સતત કાર્યરત તમામ સંસ્થાઓ અને કાર્યકરોને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.
આ કાર્યક્રમમાં વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો, નગરપાલીકાના હોદ્દેદારો, અધિકારીશ્રીઓ અને બહોળી સંખ્યામાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


